5 February 2015

પંચાયતોમાં તલાટીઓની અછત ઓછી થશેઃ ૨૪૪૦ ભરતી માટે મંજુરી

ત્રણ મહિનામા ભરતી પ્રક્રિયા પૂરી કરી નિમણૂકો આપવાનો પ્રયાસઃ મંત્રી કવાડિયા

ગુજરાત સરકાર દ્વારા પંચાયત ક્ષેત્રના તલાટી મંત્રીઓની ખાલી જગ્‍યા ભરવા દરેક જિલ્લા પંચાયતમાંથી વિગતો માગવામાં આવેલ. તેના આધારે ૨૪૪૦ નવા તલાટીઓની ભરતી કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ પરીક્ષા લેવા સહિતની ભરતી પ્રક્રિયા શરૂ થશે. નજીકના દિવસોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થનાર જાહેરાતમાં ઉમેદવારની લાયકાત અને પરીક્ષા પદ્ધતિ સહિતની વિગતો દર્શાવવામાં આવશે. નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ ફીકસ પગાર અને ત્‍યાર પછી પુરો પગાર આપવામાં આવશે.
પંચાયત ક્ષેત્રે તલાટીઓની મોટી ઘટ નિવારવા સરકારે ૨૪૪૦ જગ્‍યા પર ભરતી કરવા મંજુરી આપી છે. પંચાયત ક્ષેત્રે એક સાથે આટલી મોટી (૨૪૪૦) તલાટીઓની ભરતી પ્રક્રિયા થાય તેવુ પ્રથમ વખત બનશે. પંચાયતોમાં તલાટીઓની ખેંચમા રાહત થશે અને ૨૪૪૦ યુવકોને સરકારી નોકરી દ્વારા રોજગારીની તક મળશે. ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી સંખ્‍યા જોતા ૨૪૪૦ જગ્‍યા માટે લાખો ઉમેદવારો અરજી કરે તેવી ધારણા છે.
દરમ્‍યાન પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ જણાવેલ કે, ઘરે ઘરે શૌચાલય સહિતની ગ્રામ વિકાસની મહત્‍વની કામગીરીમાં તલાટીઓની પાયાની ભૂમિકા રહે છે. તલાટીઓની ખેંચ નિવારવા અને હાલના તલાટીઓનું કાર્યભારણ ઘટાડવા મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તથા નાણામંત્રી શ્રી સૌરભ પટેલે પંચાયત વિભાગને ૨૪૪૦ જગ્‍યા પર ભરતી કરવા મંજુરી આપી છે. ટૂંક સમયમાં પારદર્શક પદ્ધતિથી ભરતી પ્રક્રિયા શરૂ થશે. ૩ મહિનામાં નવા તલાટીઓને નિમણૂક આપી દેવાનો પ્રયાસ છે.